LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Saturday, August 4, 2012

સુવિચારો.






દુલારું દાંપત્ય



[1] લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ સંબંધ જેમાં ઉભયની સ્વતંત્રતા સમાન હોય છે;પરસ્પરની પરાધીનતા હોય છે,અન્યોન્ય પ્રત્યેનું કર્તવ્યપાલન હોય છે

[2] સાચી ગૃહિણી જ્યાં જાય છે ત્યાં સદાય તેની આસપાસ ગૃહ રચાઈ જાય છે. એના મસ્તક ઉપર ખુલ્લું આકાશ જ ભલે હોય,પણ જ્યાં ક્યાંય એ હશે ત્યાં ઘર હોવાનું જ.

[3] હે બાળકો, સહુથી મહામૂલી એક સોગાદ હજી તમારી પાસે રહેલી છે ત્યાં જ એનો જેટલો લેવાય તેટલો લહાવો લઈ લેજો –એ છે પ્રેમાળ માતા. મોટાં થશો ત્યારે તમને મિત્રો મળશે –માયાળુ, મહોબતીલા ભેરુઓ મળશે –પણ એકમાત્ર મા સિવાય બીજું કોઈજે આપી શકતું નથી એવી, શબ્દોથી અવ્યક્ત મમતા ને શીતળતા તો ફરી ક્યારેય તમને સાંપડવાની નથી.


[4] યૌવન એ જિંદગીનો કોઈ કાળ નથી; એ ચિત્તની એક અવસ્થા છે.

[5] દીકરીઓને આપણે ચાહીએ છીએ, એ જેવી છે તેને માટે;દીકરાઓને ચાહીએ છીએ તે જેવા બનવાના છે એને માટે.

[6] જીવનમાં બીજી કેટલીયે સુંદર સુંદર વસ્તુઓ થોકબંધ મળે છે : આટલાં બધાં ગુલાબો, તારાઓ, સૂર્યાસ્તો, મેઘઘનુષો; પણ દુનિયા આખીમાં માતા તો એક જ હોય છે.

[7] ઘર એટલે – આપણા પગ જેનાથી વિખુટા પડી શકે,પણ આપણું હૈયું કદી નહિ.

[8] હે ભાગ્યદેવતા, એટલું વરદાન માગું છું કે મારી વાંછના રહે – સાંત્વન પામવાની નહિ, પણ અન્યને આપવાની;મારી વાત સમજાવવાની નહિ, પણ કોઈની સમજવાની; બીજાનો પ્રેમ પામવાની નહિ, પણ પ્રેમ આપવાની. કારણ કે આપીએ છીએ, ત્યારે જ અમે મેળવીએ છીએ, ક્ષમા કરીએ છીએ, ત્યારે જ ક્ષમા પામીએ છીએ, અને મૃત્યુ પામીએ છીએ ત્યારે જ અમૃત જીવનમાં જન્મ પામીએ છીએ.

[9] જેની સાથે હાસ્ય-કિલ્લોલ કરેલાં હોય, તેને આપણે કદાચ ભૂલી જઈએ; પણ જેની સાથે આંસુ સારેલાં હોય, તેને કદી નહિ.

[10] સફળ લગ્ન એ એક એવી ઈમારત છે, જેને રોજેરોજ નવેસર ચણવી પડે છે.

[11] ચાહે તેવા પુરુષમાંથી પણ સારો પતિ નિપજાવવાની કલા સુલક્ષણા નારીને વરેલી હોય છે.

[12] દુલારા દાંપત્ય માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –હંમેશા એની એ જ વ્યક્તિ સાથે.

પ્રેમ જ બદલી શકે છે તમારા જીવનની દિશા..(લેખ)


જો પોતાના બળ પર કોઇ કંઇ પરિવર્તન લાવી શકે છે તો તે છે પ્રેમ. પ્રેમની શક્તિ કંઇ પણ બદલી શકે છે. આપણા અવતારોએ, સંત-મહાત્માઓએ, વિદ્વાનોએ પ્રેમ પર જ સહુથી વધુ ભાર મૂક્યો છે. માત્ર હિંદુ ધર્મ જ નહીં, મુસ્લિમ, શીખ, ઇસાઈ, બૌદ્ધ દરેક ધર્મનો એક સંદેશ છે કે પ્રેમ. નિષ્કામ પ્રેમ જીવનમાં હોવો જ જોઇએ. તેમાં અપરંપાર શક્તિ સમાયેલી છે. પ્રેમ જીવનની દિશા બદલી શકે છે. પરમાત્માની નજીક જવાનો સૌથી સરળ માર્ગ છે, પ્રેમ. ફકીરોની સોબતમાં શું મળે છે તે તો નક્કી નથી થઇ શકતું પણ કંઇક મેળવવાની ઘેલછા જરૂર નષ્ટ પામે છે. સૂફીઓના અંદાજમાં રહેનારા લોકો અન્ય લોકો પાસેથી અપેક્ષા છોડી દે છે. અપેક્ષા રહિત જીવનમાં પ્રેમ સાવ સરળતાથી જાગે છે. પ્રેમમાં સામેવાળી વ્યક્તિને પોતાના જેવી બનાવવાની તાકાત હોય છે. ફકીરી પ્રેમની પ્રતિનિધિ છે. અહમદ ખિજરવિયા નામના ફકીર સારા લેખક પણ હતા. તેઓ આમ તો ફૌજીઓના વેશમાં રહેતા હતા પણ સંપૂર્ણ રીતે પ્રેમથી લથબથ હતા. એક વખત તેમના ઘરમાં ચોર ઘૂસી ગયો. ચોર કલાકો સુધી ઘરમાં કંઇક શોધતો રહ્યો, પણ કંઇજ હાથ ન લાગ્યું. લાગે પણ ક્યાંથી ઘર તો પ્રેમથી ભરેલું હતું. અહમદનું મન સંપૂર્ણ રીતે પ્રેમમાં મગ્ન હતું. ચોરને પાછા વળતા નિહાળી તેમણે તેને રોક્યો. તેમણે કહ્યું કે હું આપને પ્રેમ તો આપી જ શકુ છું, બાકી મારી પાસે કંઇ નથી. મારા ઘરમાં બેસો અને સમગ્ર રાત ઇબાદત કરો. ફકીર જાણતા હતા કે જીવનનું કેન્દ્રબિંદુ શોધવું હોય તો પ્રેમ જ એક માધ્યમ છે. જેના જીવનમાં પ્રેમ છે તેના જીવનમાં ઉપરવાળો છે. દુનિયામાં જે શબ્દોનો ભરપૂર ઉપયોગ થયો છે તેમાંનો એક છે પ્રેમ. લોકો તેના ખોટા અર્થો પણ કાઢે છે. આવો જોઇએ પ્રેમ કેવું આચરણ કરાવે છે. પેલા ચોરે સમગ્ર રાત દરમિયાન ઇબાદત કરી. સવારે ફકીરને કોઇ અમીર ભક્તે કેટલીક દીનારો આપી. ફકીરે તે દીનારો ચોરને આપી દીધી અને કહ્યું કે તારી ઇબાદતના વળતરમાં આ કબુલ કર. ચોર હવે પ્રેમની પકડમાં હતો. આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે હું એ ખુદાને ભૂલી ગયો હતો જે એક રાતની ઇબાદતમાં આટલું બધું આપી શકે છે. ચોરે દીનારો ન લીધી અને કહેતો ગયો કે પ્રેમ અને પૈસા બંને મળ્યા, પણ હવે જ્યારે પ્રેમ પ્રાપ્ત થઇ ગયો છે ત્યારે અન્ય વસ્તુઓ પણ આપોઆપ આવી જશે. જીવનમાં જ્યારે પ્રેમનો પ્રવેશ અટકી જાય છે ત્યારે અશાંતિને પ્રવેશવાની જગ્યા મળી જ રહે છે.

Friday, August 3, 2012

મોંઘી નથી મનની શાંતિ...(લેખ)



એક માણસે ખૂબ પ્રાર્થના કરતાં ભગવાન પ્રસન્ન થયા. બોલ તારે શું જોઈએ ! માણસે તેની ઇચ્છાઓ કહી. ભગવાન કહે, તારા મુકામે જતાં રસ્તામાં તને ઘણું બધું મળશે તેમાંથી તને જોઈતું લેતો જજે. પણ એ બધામાંથી તારે ફક્ત બે જ ચીજ લેવાની છે, તે યાદ રાખજે.

પેલો તો ખુશ થઈને ચાલવા લાગ્યો. પહેલાં જ તેને અપાર ધન મળ્યું. હરખાઈને તેણે ઉપાડી લીધું. આગળ જતાં પ્રેમ દેખાયો. તે કહે, તને લઈને હું શું કરીશ ! પૈસો હશે તો બધા પ્રેમ કરતાં થઈ જશે. વળી થોડે જતાં તેને શાંતિ મળી. તે ગર્વથી હસ્યો. આટલું બધું ધન છે પછી હું તને લઈશ તો મોજમજા ક્યારે કરીશ ! એવું જ સંતોષનું પણ થયું. તેણે કહ્યું તું હશે તો હું વધુ ધન મેળવવાના પ્રયત્નો અને મહત્ત્વાકાંક્ષા છોડી દઈશ જે મને પોસાય નહીં. તું મારા માટે તદ્દન નકામો છે. સ્વાસ્થ્ય પણ જોતું રહી ગયું અને માણસ આગળ વધતો ગયો. પૈસાથી બધું જ ખરીદી લેવાના ગુમાનમાં તે રાચતો રહ્યો.

છેલ્લે તેને કીર્તિ મળી. તેણે ઝટ લઈને ઉપાડી લીધી. લોકો મારી ધનવાન અને સફળ માણસ તરીકે વાહવાહ કરે તો જીવન ધન્ય બની જાય. બે વરદાન પૂરા થતાં ઘર પણ આવી ગયું પછી તો એ માણસ વગર મહેનતે મળેલા ધનના મદમાં એટલો બેફામ બની ગયો કે, સારાં-નરસાંનો વિવેક ભૂલી બેઠો. કુટેવો અપનાવી બેઠો.

હૈયે પ્રેમનો વાસ નહોતો તેથી મિત્રો, સ્વજનો તેનાથી નારાજ રહેવા લાગ્યા. સંતોષની ગેરહાજરી હોઈને તે વધારે ને વધારે ધન મેળવવાની લાલસામાં દોડવા લાગ્યો એથી જે હતું તેનો પણ આનંદ ના માણી શક્યો. સ્વાસ્થ્ય પણ નારાજ થઈ સાથ છોડી દેવા લાગ્યું એટલે નાની-મોટી બીમારીથી તે ઘેરાઈ ગયો. મનની શાંતિ પણ તેનાથી નારાજ હતી એથી તે સતત ગુસ્સો, ચિંતા, તકરારનો શિકાર બનતો ગયો. સૌએ મળીને તેનું ધન પડાવી લીધું અને તેના જ નામના ઓઠા હેઠળ બધાં ખોટાં કામો પણ કરવા લાગ્યા. પરિણામે મેળવેલી કીર્તિ પણ ખરડાઈ ગઈ. છેલ્લે માનસિક સંતુલન ખોઈને તે કકળી-કકળીને અંતે પાગલ બની ગયો.

આવા અશાંત આત્માઓથી આજે દુનિયા ઊભરાય છે.

પહેલાંના વખતમાં લોકો સંસારથી કંટાળે ત્યારે કહેતાં, હવે તો હિમાલયમાં જઈએ ત્યારે જ શાંતિ મળશે. સંસારની આ થકવી દેતી દોડધામ, સંસારી મોહમાયા છોડી સંન્યાસ લઈ હિમાલયના કોઈ અજ્ઞાત સ્થળે વસીને શાંતિની શોધ કરીશું એવું કહેવાનો આશય રહેતો, પણ માની લો કે, તેવું કર્યા પછી વળી નવી સમસ્યાઓ, નવા જ પ્રશ્નો નહીં ઉદ્ભવે તેની શી ખાતરી ? કારણ કે માણસ જ્યાં જાય ત્યાં બીજું કોઈ ભલે ના હોય તેનો પડછાયો તો સાથે હોવાનો જ. આ પડછાયામાં તેનું મન, તેના વિચારો, જન્મોજન્મથી તેના આત્માને વિંટળાયેલા વિકારો, ઇચ્છાઓ અને સંસ્કારો હોય જે તેનો પીછો ના છોડે, પરિણામે તે ઠેરનો ઠેર જ રહે.

આજનો સિનારિયો જોઈએ તો વ્યથિત, હતાશ લોકો મનની શાંતિ સંસારમાં રહીને જ શોધવા મથે છે. તેમના લાભાર્થે આજે અનેક જાતનાં પુસ્તકો, પ્રવચનો, શિબિરો યોજાય છે. મન સ્વસ્થ બનાવે શાંતિ અપાવે તેવાં ગુરુઓ પણ હાજર છે.

સવાલ એ થાય કે, આ પુસ્તકો, પ્રવચનો કે શિબિરોમાંથી જે કંઈ ભાથું બંધાવાય છે તેને મનભેગું કરનારા કેટલાં ? કોઈ ખવડાવે તેમાં પેટ ભરાયાનો સંતોષ થાય ખરો ? ને થાય તો ટકે કેટલો ? વળી પાછી એ જ સમસ્યાઓ અને એ જ કંટાળો આપતી, નિચોવી નાખતી રોજિંદી ઘટમાળમાં પડે કે શાંતિ છૂ થઈ જાય, કેમ કે બધું જ જ્ઞાન ઉપરછલ્લું જ ગોઠવ્યું હોય તે જરાકમાં ખરી પડવાનું.

ત્રણ મુદ્દા થકી માણસ માનસિક શાંતિ ગુમાવતો હોય છે, સ્વભાવથી, સંજોગોથી અને સંબંધોથી.

આજનો માણસ મકાન બદલે છે, વસ્ત્રો બદલે છે, સંબંધો પણ બદલે છે છતાં પણ દુઃખી છે, અશાંત છે, કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો અને માણસની મોટાભાગની સમસ્યાઓ જ તેના સ્વભાવ થકી જ ઉદ્ભવતી હોય છે.

ઘણીવાર જીવનમાં ના ધારેલાં અણગમતાં સંજોગો ઊભા થતાં હોય છે, જેના પર આપણો કોઈ કાબૂ ના હોય. ક્યારેક આપણી ભૂલથી તો ક્યારેક બીજાઓ થકી એવું બની જાય છે જે સહનશક્તિ ખૂટાડી દે. ના બોલાય ના સહાય એવી સ્થિતિમાં પ્રતિક્રિયારૂપે અકળામણ અને ગુસ્સો થવાથી મન ડહોળાઈ જાય છે. આવા દરેક સંજોગો દરમિયાન શક્ય તેટલાં આવેગોને કાબૂમાં રખાય તો વાત વણસતી અટકે. મન શાંત રાખી વિચારવાથી વધુ સારાં પરિણામો મળશે તે યાદ રાખવું અને મનને વિચલિત કરી દે તેવા પ્રશ્નોનો જવાબ સમય પર છોડી દેવો, કેમ કે મન પરનો કાબૂ હશે તો સમય પણ તમને ઉકેલ શોધવામાં સહાય કરી શકશે.

સંબંધોની વાત કરીએ તો અહીં સંબંધો બગડવા કે કડવાશ પેદા થવા પાછળ માણસનો સ્વભાવ વધારે જવાબદાર બને છે. ક્યારેક સામેની વ્યક્તિનો તો ક્યારેક આપણો સ્વભાવ એવો આડો ઊતરે છે જેનાથી તકરાર ઊભી થાય.

રોજેરોજ કંઈ કેટલાંય લોકો સાથે વિચાર-વ્યવહાર થતો હોય છે તેમાં કોઈ અજાણ્યા હોય તો કોઈ પરિચિતો કે સ્વજનો હોય, તે દરેકના સ્વભાવમાં કંઈ ને કંઈ એવું તો હોય જ જે આપણને કઠે, કરડે કે ના ગમે. તેમની વાણી-વર્તન આપણને ગુસ્સો અપાવે, પણ છતાં તેમનો સામનો કરવો જ પડતો હોય છે. આવા સમયે આપણા સ્વભાવની અને ધીરજની કસોટી થઈ જાય છે. આપણે તેમને નથી અટકાવી શકતાં કે નથી તો સુધારવા ટકોર કરી શકતાં ત્યારે મન અકળાય છે, અશાંત થાય છે જેની અસર ખુદના જ વર્તન અને શરીર પર થવા લાગે છે. બીજાનું કંઈ બગડતું નથી.

આ સ્થિતિથી બચવાનો એક જ વિકલ્પ બચે છે. જે સંજોગો કે વ્યક્તિનો સ્વભાવ બદલી ના શકાય તેમ હોય તેને સ્વીકારીને ચાલવું. વળી સંજોગો તો હજુ પણ સમય જતાં બદલાશે, પણ કોઈનો સ્વભાવ બદલવો અશક્ય બનશે. તેના કરતાં આપણું મન વિચારો, દૃષ્ટિકોણો, સંજોગોને અનુકૂળ કરતાં જઈ આપણો સ્વભાવ જ કેમ ના બદલીએ ! બધું આપણને જ અનુકૂળ થાય તે રીતે બને તેવું શક્ય નથી અને બધા લોકો આપણા મનને સુખ થાય તેવું જ વર્તે તે પણ અશક્ય છે, પરિણામે જો કાંઈ બદલવું જ હોય તો તેની આપણા લાગણીતંત્રથી જ શરૂઆત કરવી.

ઝીણવટથી વિચારતાં યાદ આવશે કે, રોજેરોજ કેટલી બધી નાની-મોટી અને નગણ્ય જેવી બાબતો માટે આપણે વિચલિત થઈ જઈએ છીએ. ખાસ કારણ વગર કે જરૂર વગર ગુસ્સો કરીને ખેંચાઈએ છીએ. નાની નાની બાબતોમાં શાંતિ ખોઈ બેસીએ છીએ.

ડ્રાઈવર મોડો આવ્યો હોય, એપોઈન્ટમેન્ટ આપ્યા પછી પણ ડોક્ટર વેઈટ કરાવે, કોઈ બિલ ભરવાનું રહી ગયું હોય, કોઈ વાહન લાઈન તોડીને ઓવરટેક કરી જાય, કામવાળી કીધા વગર રજા પાડી દે, બાળકો કહ્યું હોય તેવું ના કરે, પાંચ-દસ મિનિટ મોડા હોઈએ તોય બોસ કે ઉપરી ઠપકો આપે, ગાડી જલદી સ્ટાર્ટ ના થાય... આવી આવી તો અગણિત બાબતો બનતી જ રહે અને આપણે ગુસ્સો, અકળામણ કે બૂમબરાડા પાડીને તેને મન પર ઝીલતાં જ રહીએ. હવે આવું ને આવું ચાલતું રહે તો રાત પડયે મનની કઢી વલોવાઈ જાય !

આપણી આસપાસના જીવનમાં આવું તો ઘણું બધું અનિચ્છાએ, અવ્યવસ્થિતપણે અને અણગમતી રીતે ચાલ્યાં જ કરવાનું. જે આપણા હાથમાં નથી તેના પર કાબૂ કરવો કેટલો યોગ્ય ? બધાં લોકો અને સંજોગો એક આપણા જ મૂડ અને મનને અનુલક્ષીને વર્તે તેવું માનવું બેકાર છે. એટલે જે બને છે તેને સાક્ષીભાવે જોતાં રહેવાનું શક્ય હોય તો બીજા વિકલ્પો શોધી લેવા પણ મનની શાંતિને ઇજા ના પહોંચાડવી. ઇજા શબ્દ એટલા માટે કે આમ વાતેવાતે વારંવાર વિચલિત થયા કરવાની ટેવ મનને પડતી જાય તો તે સ્વભાવમાંથી સહિષ્ણુતા, ધીરજ બંને ખોઈ બેસે. સ્વભાવ ચીઢિયો અને અકારો બની જાય અને ડહોળાયેલું મન જીવનનો સાચો આનંદ, નાની નાની વાતોથી મળતી ખુશીના અનુભવી શકે. અનુભવીઓ તેથી જ કહે છે કે, માથે બરફ રાખીને જીવો એટલે કે ગમે તે સંજોગોમાં દિમાગ ઠંડું રાખો.

મનની શાંતિ માટે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા પડે. જેમ કે પારકી ચિંતા ના કરવી, જગત કાજી ના બનવું, કોઈની ટીકામાં ના પડવું.

એક સ્ત્રીનો ફોન આવ્યો. તે ઝટ રસોડામાંથી બહાર આવી. નિરાંતે છાપું વાંચતા પતિને હલબલાવીને કહે, “જો હું કહેતી’તી ને કે પેલા નરેશભાઈની મીતાના લક્ષણો સારા નથી. તે ભાગી ગઈ. સાવ રખડું થઈ ગઈ હતી...” એ બોલતી જ રહી. ત્યાં રસોડામાંથી દૂધ ઊભરાવાનો અવાજ આવતાં દોડી. હવે પતિ મહાશય ગુસ્સે થયા. તારે શી પડી છે. છોને ભાગી ગઈ, તું તારું સંભાળને... એમની તકરાર વધતી ગઈ ત્યાં સાસુ આવ્યાં તે પણ વહુને સંભળાવવા લાગ્યા. ત્યારે પતિએ પત્નીનો પક્ષ લઈ માને વઢી નાખી.... આમ નાનકડી વાત કે જેનું તેમની જિંદગીમાં કોઈ મહત્ત્વ જ નહોતું તેણે ઘરનો માહોલ બગાડી નાખ્યો. સૌના મન નાહકના ઊંચા કરી મનદુઃખ ઊભું કરી નાખ્યું. ભોગવ્યું કોણે ? મીતાએ કે આ લોકોએ?

મનની શાંતિ જોઈતી હોય તો બોલવું ઓછું અને સાંભળવું વધારે. વધારે બોલવામાં ક્યારેક વગર વિચારેલું બોલાઈ જાય છે જે વાત બગાડે, કડવાશ ફેલાવે અને અંતે આપણા જ મનની શાંતિ છીનવી લે.

અન્ય મહત્ત્વનો મુદ્દો છે આપણું ધારેલું થાય તો જ સુખની અનુભૂતિ થાય ! એટલે કે કાયમ આપણું મનગમતું, આપણા જ પ્લાન મુજબ બન્યા કરે ? બલકે એવું ભાગ્યે જ થતું હોય છે. કોઈ જરાક જુદું વર્તે કે બોલે તો આપણે દુઃખી અને કોઈ ગમતું વર્તે તો આપણે સુખી ?શું આપણા સુખ-દુઃખ અને મનની શાંતિ બીજાઓના વર્તન પર જ અવલંબતી હોય છે ? જ્યાં સુધી જાતે ખુશ રહેવાની કળા સાધ્ય ના કરાય આપણને માનસિક શાંતિ મળે નહીં. આપણા મનના આપણે જ રાજા રહેવાનું. લગામ કોઈ બીજાના હાથમાં નહીં સોંપવાની.

વળી લોકોને સુધારવાનો કે સલાહ આપ્યા કરવાનો આપણે ઠેકો પણ નથી લીધો. આપણે આપણું સંભાળીને બેસી રહેવાનું, બીજાની પાછળ કે ફાલતુ બાબતોમાં સમય અને શક્તિ ના વેડફવા. બીજા આપણને સુધારવા મંડી પડશે તો શું ચલાવી લઈશું કે તેના કહેવા પ્રમાણે બદલાઈ જઈશું ખરા ? તો જગત આખાને બદલી આપણને અનુકૂળ બનાવવાની મથામણો કેમ કરવાની ?

માનસિક શાંતિ માટે ઉત્તમ વાંચન, સારા મિત્રો, સમજુ પાડોશીઓ, પ્રેમાળ સ્વજનો એ દરેક સહાયક પરિબળો છે. પોઝિટિવ વિચારધારા રાખી આસપાસના સૌની સાથે સાયુજ્ય સાધવાથી સૌના તરફથી પોઝિટિવ આંદોલનો મળશે જે શાંતિ આપશે. એ માટે સૌની સાથે સારો વ્યવહાર રાખવો, પોતાની તથા સૌની મર્યાદાઓ સમજી તેનો સ્વીકાર કરવો, મનને સ્થિર રાખવું, કોઈની લાગણી દુભાય તેવું ના વર્તો બલકે સારી વાતો વહેંચો તો આપોઆપ મન શાંતિ અનુભવશે. અને વણજોઈતી બાબતો આપણને વ્યથિત નહીં કરી શકે.

મનની શાંતિ ક્યાંય બહાર શોધવા જવાથી નહીં મળે. તમે કોઈ જ્ઞાની વ્યક્તિનું પ્રવચન સાંભળવા બેઠા હશો ખૂબ પ્રભાવિત કરી દેતી અધ્યાત્મની વાણી તમારા કાન સાંભળતાં હશે, પણ મન કોઈ દૂર ઘટેલી ઘટના પર ચોંટેલું હશે તો કંઈ પલ્લે નહીં પડે. બધું બોલાયેલું વ્યર્થ જશે. એટલે જ જે કંઈ કરવાનું છે તે મનથી જ શરૂ થાય છે. મન-હૈયું અને બુદ્ધિ ત્રણેય એક થઈને ફક્ત એક જ મુદ્દા પર કામ કરશે તો જ મનને સાચી શાંતિ મળશે.

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! (લેખ)


એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવાનો મારો સ્વભાવ બદલી નાખીશ ! આવો નિર્ણય તો કરી નાખું છું પણ જેવું કંઈક નાનકડું કારણ મળે કે તરત હું ચિઢાઈ જાઉં છું. પત્નીએ સવારે આપેલાં કપડાંમાં ખમીસનું એકાદ બટન તૂટેલું હોય કે ચાના કપમાં કંઈક સહેજ તરી રહેલું લાગે તો તરત મિજાજનો પ્યાલો ફાટે ! હું જાણું છું બટન તૂટી ગયું તેમાં પત્નીનો કોઈ દોષ નથી. બટન તૂટેલું હોય તો તે ખમીસ પાછું મૂકી દઈને બીજું ખમીસ લઈ શકાય છે. ચાના કપમાં જે તરે છે તે ચાની પત્તી સિવાય કંઈ નથી તે પણ હું જાણું છું, છતાં નાની નાની બાબતમાં મારો મિજાજ કેમ છટકી જતો હશે ? એક માણસ આવો પ્રશ્ન કરે – ઘણાબધા માણસો તો આવા કોઈ પ્રશ્નો કરે – બીજાને કે ખુદ પોતાને પણ પૂછતા નથી. આ જ મારો મિજાજ છે અને આ જ મારો રુઆબ છે. તેને બદલી શકાય નહીં અને તેને બદલવાની જરૂર જ શું ? વાતવાતમાં આ રીતે પોતાનો મિજાજ ગુમાવનારા આ બાબતને ખાસ ગંભીર ગણતા નથી. કોઈ તેમને તેમના આવા તડતડિયા સ્વભાવ વિષે ટકોર કરે તો તેઓ કહેશે કે શું કરીએ ! આ તો સ્વભાવ છે. સ્વભાવમાં થોડીક ‘ગરમી’ ના રાખીએ તો કોઈ દાદ જ ના દે. પત્ની પણ દાદ ના આપે અને સંતાન પણ બિલકુલ ગાંઠે જ નહીં. બીજા લોકો પણ આપણી સાથેના વહેવારમાં આપણને લલ્લુભાઈ ગણી કાઢે ! માણસ આ રીતે પોતાના સ્વભાવના આ વારંવારના નાના ભડકાને સમજાવવાની કે ગેરવાજબી ગણાવવાની કોશિશ કરે છે, પણ આવો માણસ ક્યારેય શાંતિથી વિચારે તો તેને કેટલીક વાર એક આંચકા સાથે એવું ભાન થાય છે કે આ બધી નાની બાબત પાછળ કોઈ કોઈવાર મોટી ગરબડ છુપાઈ હોય છે. કોઈક મોટા રોગના એક નાનકડા પ્રગટ લક્ષણ જેવું જ આ પણ એક લક્ષણ હોઈ શકે છે. શરીરના જે ભાગમાં લોહી પહોંચતું ના હોય ત્યાં ખાલી ચઢી જાય છે કે ઝણઝણાટી થાય છે એવું જ કાંઈક આમાં પણ હોય છે. આપણા સ્વજનો અને પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓ, પરિચિતો અને અપરિચિતો સાથેના આપણા વહેવારમાં જ્યાં જ્યાં આપણા સ્વભાવના આ કાંટા એકદમ બહાર આવી જાય છે ત્યાં ત્યાં આપણી અંદર વહી રહેલા જીવનરસના અને લાગણીના નીરોગી પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડેલો હોય છે, કંઈક ગરબડ હોય છે. એક લગ્નપ્રસંગે એક ભાઈ પોતાના ભાઈને ભેટ્યો. પછી નાનો ભાઈ જરાક દૂર ગયો એટલે મોટાભાઈએ તેમની બાજુમાં ઊભેલા સંબંધીને કહ્યું : ‘મને મારા ભાઈ માટે કશી જ લાગણી નથી. મારો ભાઈ થવાને તે લાયક જ નથી, પણ આ તો બધું દેખાડવા માટે કરવું પડે છે. મારું ચાલે તો હું એનું મોં પણ ના જોઉં.’ આપણે આંખ પર પાણી છાંટીએ છીએ, કાનમાં મેલ ના હોય તેની કાળજી રાખીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, મોંને સુવાસિત રાખવાની દરકાર કરીએ છીએ, પણ મનમાં જમા થયા કરતા ક્ષારો દૂર કરવાનું ખાસ વિચારતા નથી, પાણીની જેમ જ જ્યાં લાગણી છે ત્યાં ક્ષાર જમા થઈ જાય છે. તેને દૂર કરવો પડે છે, આની સાફસૂફી થતી જ રહે તેવાં દ્રાવણો આપણી અંદર જ છે, પણ તેને આપણે કાં તો સૂકવી નાખીએ છીએ કે પછી દૂષિત કરી દઈએ છીએ. એક માણસ બીજા માણસ સાથે સ્નેહ અને સદભાવથી વર્તે, તેની સાથે ઉદારતા અને ક્ષમાવૃત્તિથી વર્તે તો સામી વ્યક્તિને જ તેનો લાભ મળે છે એવું નથી. સ્નેહ અને સદભાવથી વર્તતી વ્યક્તિને પોતાને જ તેનાથી સૌથી મોટો લાભ થાય છે. માણસની પોતાની જ માનસિક તંદુરસ્તી માટે આ આવશ્યક બની રહે છે. માણસ પોતાના જ સાચા હિતનો વિચાર કરતો નથી અને પોતાના માની લીધેલા હિતનો ખ્યાલ કરીને બધાની સામે બદલાના હિસાબે વહેવાર કરે છે. આ માણસ આપણી સાથે સારું રાખે છે, તેની સાથે સારો વહેવાર કરો. આ માણસ આપણી સાથે બરાબર વર્તન કરતો નથી – આપણા માની લીધેલા સ્વાર્થને ધક્કો પહોંચે તે રીતે વર્તે છે, માટે તેની સાથે સારી રીતે વર્તાય જ નહીં. તેની પ્રત્યે કોઈ સદભાવ સંભવી શકે નહીં. લાગ મળે ત્યારે તેને ખબર પાડી જ દેવી જોઈએ. હવે આ ખબર પાડવાની વાત એવી છે કે માણસને બીજા પ્રતિકૂળ લાગતા માણસો પર રીતસર હુમલા કરવાની ઝાઝી ફુરસદ કે લાંબી ત્રેવડ હોતી નથી. એટલે એ પોતાની જીભ ચાબુકની જેમ ચલાવે છે. માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે. કોઈકનો કઠોર શબ્દ સાંભળીને તે માણસ પોતે છંછેડાઈ જાય છે, પણ પ્રસંગ આવ્યે તે પોતે બીજાને કઠોર શબ્દો કહેતી વખતે જરાય ખચકાતો નથી. આવો વિચાર કરતો નથી કે બીજાના કઠોર શબ્દોથી મને પીડા થયા વગર નહીં જ રહે. એક તૂટેલા બટન માટે પત્નીની ઉપર રોષ કરનાર કે તેનું અપમાન કરનારને ખ્યાલ નથી રહેતો કે તે જે વહેવાર કરી રહ્યો છે તે સારા પતિને છાજે તેવો નથી. એક સારો શેઠ તેના નોકર સાથે પણ એવો વહેવાર ન કરે. વાણીની શુદ્ધિ ઉપર દરેક કાર્યમાં કેટકેટલું કહેવામાં આવ્યું છે ! આ બાબતને આટલું બધું મહત્વ આપનારા પ્રાચીનો જાણતા હતા કે આ વસ્તુ માણસની એકંદર સ્વસ્થતા અને સુખાકારી માટે કેટલી મહત્વની છે. માણસ તો આખરે માણસ છે. તે કાંઈ ચાવી દીધેલું પૂતળું નથી કે રેકર્ડ કરેલી કેસેટ નથી. તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલા પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈએ. પોતાનો સ્વભાવ આ રીતે વારંવાર લથડિયાં ના ખાય તેટલી ‘સ્થિરતા’ સંપન્ન કરવી જોઈએ. સ્વભાવના આ નાના વિસ્ફોટની પાછળ ખરેખર કોઈ પ્રાણઘાતક દારૂગોળો છુપાયેલો પડ્યો તો નથી ને ? – તેની તપાસ કરવી જોઈએ. આ વિસ્ફોટની પાછળ પડેલાં – દટાયેલાં કોઈ કારણોની જાંચ-તપાસ કરવી જોઈએ અને તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી તુરત હાથ ધરવી જોઈએ. એક ડૉક્ટરે હમણાં તેમના એક ‘દર્દી’ની વાત કરી. એ દર્દીએ ફરિયાદ કરી કે તેને ઊંઘ જ આવતી નથી. દાક્તરે પૂછ્યું કે તમે રાતે ભોજન શું લો છો ? દર્દીએ કહ્યું કે ખાસ જમતો નથી. રાત્રે ચા પીઉં. દાક્તરે પૂછ્યું કે કંઈ વાંચો છો ? કે પછી કાંઈ કામ કરો છો ? દર્દીએ કહ્યું કે વાંચતો નથી. કંઈ કામ પણ કરતો નથી. બસ વિચાર કર્યા કરું છું. શેના વિચાર ? ખાસ કાંઈ નહીં, જે કંઈ વિચારો આવ્યા કરે તે ! ડૉક્ટરને દર્દીએ વધુમાં જણાવ્યું કે અડધી અડધી ચા પીવાનું આ ચક્ર બપોરથી શરૂ થાય છે અને અડધી રાત સુધી ચા પીવાનું આ ચક્ર ચાલ્યા કરે છે. કશા જ કામ વગર, કશા જ કારણ વગર એ ભાઈ મગજની ઘંટી ચલાવ્યા કરે છે. ઘંટીમાં ખાસ કાંઈ દળવાનું તો છે જ નહીં. ખાલી ઘંટી ચાલ્યા કરે. પછી એ ભાઈને ઊંઘ ક્યાંથી આવે ? ઊંઘ તો જોઈએ છે પણ ખોટા ઉધામામાંથી છુટાતું નથી. આજે આપણે જોઈએ છીએ કે માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ના બને પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું ! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાત જાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ, તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઈલાજ દવા નથી. પોતાના શરીરને અને મનને પોતાની પીઠ પરનો બોજો ગણવાની જરૂર નથી. શરીરને આરામ અને મનને શાંતિ આપવાની જ્યાં જરૂર હોય ત્યાં ઉધામા અને અશાંતિ ચાલુ રાખીને દવાઓ લેવાનો અર્થ શું ? માણસોને આજે આપણે ‘સક્રિયતા’ ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું જ પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકશાન જ પહોંચાડે છે. ચોક્ક્સ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કરે, ગમે તેટલા શારીરિક-માનસિક શ્રમ કરે તેને વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જે ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત થતું નથી. આપણું બધું જ ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારનાં સુખ-સાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ અને ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે. હમણાં એક જુવાનના પિતા એક મનોચિકિત્સકને મળ્યા અને કહ્યું કે પુત્ર વારંવાર આત્મહત્યાની કોશિશ કરે છે અને અમે તેની આવી દરેક કોશિશને નિષ્ફળ કરી છે પણ હવે કરવું શું ? આ છોકરો ક્યારે શું કરે તેનું શું કહેવાય ! મનોચિકિત્સકે એ યુવાનની સાથે વાત કરી – કેમ આત્મહત્યા કરવી છે ? શું થાય છે ? શું મૂંઝવણ છે ? યુવાને કહ્યું કે મને કોઈ આવતું દેખાય છે. મને કોઈક મારી ઉપર ધસી આવતું દેખાય છે. મને મારી નાખવા માટે તે આવી રહ્યો છે એટલે એ આવીને મને પતાવી દે તે પહેલાં હું જ મને ખતમ કરી નાખું ! – આ તો માનસિક રોગ હતો. મનોચિકિત્સકે એ યુવાનને તેના સ્ક્રીઝોફેનિયાની જે દવા આપવાની હતી તે આપી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ રોગ એ યુવાનનો નથી. આપણા આજના યુગનો આ રોગ છે. કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે અને એ ભયથી વિહવળ બનીને આપણે ગમે તે આપત્તિની સામે દોડીને તેને ભેટી પડવા માટે આંધળી દોટ મૂકીએ છીએ. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ. દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. માહિતીના ઢગલેઢગલા રચાતા જાય છે. આપણને આ માહિતીનો અપચો થયો છે. આ માહિતીનું ‘મારણ’ તો જ્ઞાનનું એક જ બિંદુ બની શકે પણ તે અમૃતબિંદુ આપણી પાસે નથી. તે બિંદુ આપણને આપણી પોતાની અંદરથી પ્રાપ્ત થઈ શકે.

માણસ ખરેખર ખુદને જ સહુથી વધારે ચાહે છે ...(લેખ)


લાઈફ ક્યારેક બહુ અજીબ લાગે છે .... કે પછી ક્યારેક આપણે જ એટ્લા અજીબ બની જતા હોઈએ છીએ ? નાના હોઈએ ત્યારે એમ થાય ક્યારે જલ્દી મોટા થઈ જઈએ અને મોટા થઈએ ત્યારે એમ થાય છે કે શુ કામ મોટા થયા ? કાશ ફરી નાના થઈ જઈએ .... ભી્ડમા હોઈએ તો એમ થાય કે ક્યાક દૂર શાંત સ્થળે એકાંતમાં નિરાંતે રહીએ .... અને એકલા હોઈએ તો એમ થાય કે પોતાના લોકોની વચ્ચે રહીએ. well .... પણ એકલા રહેવુ અને એકાંતમાં રહેવુ એમા પણ ઘણો ફરક (ફર્ક) છે. આપણે જેમની વચ્ચે રહેતા હોઈએ એ ખરેખર આપણા હોય તો એમની સાથે રહેવુ એ સાચેજ મજા છે. છતાંય પોતાની જાત સાથે થોડો સમય ગાળવાની, ખુદની સાથે વાત કરવાની પણ એક અલગ મજા છે ....એકાંતની વાત નિકળી છે તો એક વાર્તા યાદ આવે છે ..... એકવાર એક સંત ફરતા ફરતા એક શક્તિશાળી રાજાના રાજ્યમા આવે છે. એટલે રાજા અને રાણી પણ એમને મળવા જાય છે. સંતની સાથે ધર્મ અને ધ્યાનની ચર્ચા કર્યા પછી રાજા અને રાણી ને એમા વધારે રસ પડે છે અને વધારે ઉંડાણપૂર્વક સંત પાસેથી ધ્રર્મ અને ધ્યાન વિશે જાણે છે. તેમ જ એને જીવનમાં ઉતારવાનો અને એ મુજબ જ જીવવાનો નિર્ધાર કરે છે. રોજ અમુક નક્કી સમય સુધી રાજા અને રાણી ધ્યાન કરવા લાગે છે. અને વધુ ને વધુ પોતાની અંદર ઉતરતા જાય છે. જીવનને , આસપાસની વસ્તુઓ ને સમજતા જાય છે.એકવાર રોજ ની જેમ જ રાજા અને રાણી ધ્યાન કરીને બેઠા હોય છે ત્યા અચાનક રાણીને પ્રશ્ન થાય છે ...અને એ રાજાને પૂછે છે કે -"આમ તો આ પ્રશ્ન બહુ વિચિત્ર છે છતા મારા મનનુ સમાધાન કરો અને કહો કે તમે સહુ થી વધારે કોને પ્રેમ કરો છો ?" રાજા વિમાસણમા મૂકાઈ જાય છે. ધર્મના સાચા રસ્તા પર ચાલવાની ટેક લીધી છે તો જુઠ્ઠુ તો બોલાય નહી .... પણ તો યે એ વિચારે ચડી જાય છે ... રાજા પણ વિચારે છે કે આખરે એ સહુથી વધારે શેને પ્રેમ કરે છે ? આજ પહેલા એણે ક્યારેય આ વિષે વિચાર્યુ નહોતુ. એ રાણી પાસે એક દિવસ નો સમય માગે છે અને સામે રાણીને પણ એ જ સવાલ પૂછે છે કે " રાણી તમે કોને પ્રેમ કરો છો સહુથી વધુ ?" આખરે બંને નક્કી કરે છે કે ધ્યાન કરતી વખતે મગજ શાંત હોય એટલે ત્યારે જ આનો જવાબ શોધીશુ.બીજા દિવસે ધ્યાન કર્યા બાદ રાજા રાણીને જણાવે છે કે " માફ કરજો રાણી પણ તમે પૂછેલો સવાલ આજે ધ્યાન કરતા મે મારી જાતને પૂ્છ્યો તો મને જાણવા મળ્યુ કે હુ સહુથી વધારે મને જ પ્રેમ કરુ છુ. હુ જે કઈ પણ કરુ છુ એ મને સુખ મળે છે, શાંતિ મળે છે, આનંદ મળે છે , સંતોષ મળે છે એટલે જ કરુ છુ.....અર્થાત હુ મને જ સહુથી વધુ ચાહુ છુ " ......................... રાણી કહે ," આશ્ચર્ય ! પણ મે પણ ધ્યાન કરતા કરતા મારી જાતને આ સવાલ પૂછ્યો તો મને પણ ખબર પડી કે હકીકત મા હુ પણ મારી જાતને જ સહુથી વધારે પ્રેમ કરુ છુ ..."........." માણસ ખરેખર ખુદને જ સહુથી વધારે ચાહે છે ..... અને એ જ સાચુ અને યોગ્ય છે. જે ખુદને ચાહી ના શકે એ બીજાને તો કેવી રીતે ચાહી શકે ?" ..... કોઈ ની ખુશી માટે ક્યારેક કોઈ પોતાની ખુશી જતી કરે છે એ વાત સાચી .... પણ એ ખુશી જતી કરવા પાછળ પણ ખુદ ને જ આત્મસંતોષ આપવાની ભાવના જ રહેલી હોય છે ને! તો એમા પણ અલ્ટીમેટલી તો પોતાની જાતને જ ચાહવાની વાત આવીને! ... આપણે જે કંઈ કરીએ છીએ એ આખરે તો ખુદને જ કેંન્દ્રમા રાખીને કરીએ છીએ ને! જાતથી અળગા થઈને તો ભલા ક્યા જઈ શકવાના! .... " anyways, વધુ પડ્તી ફીલોસોફી અહી ગદ્યમા છલકાઈ જાય એ પહેલા પદ્યમા આ philosophical poem :)એક પણ પગલું- સગડ મૂક્યા વિના, અવગત થઈને,આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,હું ગુમાવું છું ઘણું - હદથી વધારે, પુખ્ત થઈને.સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયેકૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.....

Wednesday, August 1, 2012

આશાવાદી બનો.....


'આશા એ એવું તત્ત્વ છે જે તમને સફળતા તરફ લઈ જાય છે, આશા અને વિશ્વાસ વગર કાંઈ પણ કરી નથી શકાતુ'. આ વાક્ય છે મહાન હેલન કેલરનું જે પોતે અંધ અને બહેરા હતાં પણ વિશ્વાસથી ભણીને તેમણે આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી. (તેઓ વિશ્વની પ્રથમ એવી વ્યક્તિ હતી જેણે અંધ હોય છતાં આ ડિગ્રી પ્રાપ્ત કરી હોય) તેમણે ૧૨ પુસ્તકો લખ્યાં હતાં. એવું કહેવાય છે કે ભગવાનનો એક એવો નિયમ છે કે આ જગતમાં શ્રમ વિના કંઈ પ
્રાપ્ત થતું નથી. જે પૂરા આત્મવિશ્વાસથી પરિશ્રમ કરે છે તે બધું મેળવીને જ રહે છે અને ક્યારેય નિરાશ થતો નથી. દરેક કાર્યના પ્રારંભે સફળતા હોય તે શક્ય નથી પણ સફળતા હશે જ એવી આશા રાખનારો માનવી સફળ જ થાય છે. જે આશાવાદી છે તેની પાસે સર્વસ્વ છે કેમ કે આ દુનિયા જ આશા પર ટકી છે. પુરુષાર્થ દરમિયાન તમારે સીમિત નિરાશા સ્વીકારવી પડે પણ તેની સામે અસીમિત આશા ક્યારેય ના છોડવી.
...સફળતા પ્રાપ્ત કરવા બીજાની સહાય કે બાહ્ય સાધન કરતાં તમારો આત્મવિશ્વાસ અધિક મદદરૂપ થાય છે.

સુખી થવાની ચાવી....(લેખ)


“તમે સુખી છો”?......
નહીં ....?
“તો તમે દુખી છો”?
જવાબ મળે છે ..“સાવ એવું પણ નથી”
“તો પછી તમે અસમંજસમાં છો કે તમે સુખી છો કે દુઃખી”?
સુખ શું છે............ખૂબ મોટા ઘરમાં સુખસાહ્યબીમાં રહેવું, નોકરચાકરો હોવા, ગાડી-વિમાનમાં ફરવું, શાકમંડીમાં જતા હોઈએ તેમ ફોરેન ઉડાઉડ કરવી......કે પછી સંયુક્ત પરિવારમાં રહેવું કે પછી એકલા નાના વિભક્ત પરિવારમાં રહેવું....??
એ વિચારો, કે સુખ તમને ક્યા
રે લાગે છે અથવા શેમાંથી મળે છે ? પોતાની જાત સાથે વાર્તાલાપ સાધો કે મારી પાસે શું હશે અથવા કેવું હશે તો હું મારી જાતને સુખી માનીશ. ધ્યાનથી વિચારો.......સુખ એટલે તમને જે ગમે છે, જે જોઇએ છે એ મળે એ ક્ષણની અનુભૂતિ જ છે ને? બાકી તો મહેલમાં મહાલાનારાઓનો અને ગાડી - વિમાનમાં ફરનારાઓનો ક્યાં તોટો છે, પણ એ લોકો પણ તો પોતાને સમ્પૂર્ણ સુખી માનતા નથી.
તો એનો અર્થ એમ થયો કે સુખ કેવળ ધન કે કોઈ વસ્તુઓમાં નથી, પણ એ વસ્તુઓથી મળતી અનુભૂતિમાં છે. ગમતું મળે કે થાય તો સુખ અને ના મળે તો તો દુઃખ...........કેવળ એક અનુભવ ...........
આપણે આપણી જાતને સુખી નથી માનતા એનો અર્થ એવો કે આપણને ગમતું કઈ ખાસ બનતું નથી. અથવા એમ કહી શકાય કે ઘણું બધું ન ગમતું બને છે કે ઘણુંય બધું પરાણે કરવું પડે છે. તો આ ગમવું કે ન ગમવું એ તો મનની જ સ્થિતિ થઇ. તો સુખી થવું હોય તો આ મનની સ્થિતિને બદલવી પડે .તો હવે આ સ્થિતિ કેવી રીતે બદલી શકાય? મન જ જયારે ન માનતું હોય તો પછી સુખને શોધવું કઈ રીતે? એ તો આપણે મહેલમાં રહીશું ત્યારે પણ જો કઈ અણગમતું બનશે તો સુખી નહી થવા દે.
તો હવે શું કરવું ..................??
પ્રશ્ન આપણા સ્વયંના મનનો છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ જે આપણી સાથે હોય કે ન હોય એનો નથી. ફૂટપાથ પર પણ માનવીને નસ્કોરાં બોલાવીને સૂતાં જોયા છે અને રૂ ની તળાઈઓમાં પણ ઊંઘના અભાવે માણસોને આળોટતાં જોયા છે ખરું .....? તો સુખ એ વસ્તુઓનો નહી પણ અનુભૂતિનો વિષય થયો એ તો નક્કી ........
તો હવે આ મનનું શું કરવું .....મન હૈ કે માનતા નહી ....
ચાલો વિચારીએ.......આ વાત ગમા-અણગમાની છે, જોઈતા-વણજોઈતાની છે. તો કામ તો આ વિષય પર કરવું પડશે.
વિચારો, શા માટે આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમે છે કે નથી ગમતી...........જોઈએ છે કે નથી જોઈતી. આપણા મનનું એક conditioning હોય છે પહેલેથી, નાનપણથી , જન્મથી જ ....તરતનું જન્મેલું બાળક જેમ જેમ મોટું થાય એટલે આપણને એના ગમા-અણગમા સમજાવવા માંડે છે. જેમ જેમ મોટું થાય તેમ તેમ એના સંજોગો, વાતાવરણને પ્રમાણે એ ઘડાતું જાય અને સાથે સાથે એના ગમા-અણગમા પણ . ત્યાર પછી આખી જીન્દગી એનું મન આ અને આવા માપદંડથી સ્વીકાર-અસ્વીકાર કરતું રહે છે. બસ આ ઘટમાળ ચાલતી જ રહે છે. આ માપદંડની પૃષ્ટભૂમિ પરથી એનું મન અભિવ્યક્ત થાય છે અને દરેક ઘટનાનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. કદાચ ઘટનાને બદલી ન શકે પણ અણગમો તો જરૂર થાય છે જે દુઃખનો અનુભવ કરાવે છે.
તો માર્ગ એ જ કે આ માપદંડોથી ઉપર ઉઠીને સત્ય હકીકતને સમજવાનો અને એને પચાવવાનો પ્રયત્ન કરવો. સત્ય હકીકત એ છે કે બ્રહ્માંડ દ્વન્દ્વો થી ભરેલું છે. નર-નારી, જીવન-મૃત્યુ, ખાટ્ટી-મીટ્ઠી, ઠંડું-ગરમ, સુખ-દુઃખ વગેરે.....યાદી અનંત છે. દરેક વસ્તુની જોડી છે. એટલે એકની સાથે બીજું છે જ. એટલે આપણે ફક્ત એક જ ગમે અને બીજું ન ગમે એમ માનીને એને ન આવકારીએ ત્યારે આપણા શરીર અને મનમાં એક અસમવાદિતા પેદા થાય છે જે આપણને દુઃખની અનુભૂતિ કરાવે છે.
આપણે આ દ્વન્દ્વોને સમજીને એ બન્નેને સ્થિતપ્રઘ્નતાથી અપનાવી શકીએ તો આપણે આ સુખ અને દુઃખની ઉંચક-નીચક લાગણીઓમાં ફંગોળવામાંથી બહાર આવી શકીએ. એક બાળક જયારે ઊંચક-નીચક પર રમતું હોય છે ત્યારે એનો આનંદ જોવા જેવો હોય છે. એ નીચે જાય છે ત્યારે દુઃખી નથી થતું કે ઉપર આવે ત્યારે સુખી નથી થતું, કારણ કે એનો અભિગમ આ રમત પ્રત્યે તુલનાત્મક (being judgmental) નથી. એ ઉપર જવાને સુખ અને નીચે જવાને દુઃખ નથી સમજતું. એ આને ફક્ત રમત તરીકે માણે છે. તો શું આપણે પણ જીવન પ્રત્યે આવો અભિગમ ન કેળવી શકીએ? જો એમ થઈ જાય તો જીવન બોજ લાગવાને બદલે રમત જ લાગે.
જ્યાં સુધી આપણે આ તુલનાત્મક અભિગમમાંથી (judgemental attitude) બહાર નહીં આવીએ, આપણી શ્રુષ્ટિના દ્વન્દ્વોને નહીં સમજી શકીએ ત્યાં સુધી આ સુખ – દુઃખના ચક્કરમાંથી બહાર નહીં જ આવી શકીએ.
તો હવે કેમ કરવું અને શું કરવું?
દરેક વસ્તુ કે ઘટના એ જેમ આવે છે એમ નિસ્પૃહતાથી સ્વીકારવી. અણગગમતી હોય તો પણ. મનને વિચલિત ન થવા દઈએ તો ગમતી સ્થિતિ નિર્મળ આનંદ આપશે અને અણગગમતી સ્થિતિનો સામનો કરવાનું, સુધારવાનું પ્રેરક બળ મળશે.
સુખ અને દુઃખ બન્ને કેવળ ક્ષણભંગુર અનુભૂતિઓ છે. તે બન્ને એક સિક્કાની બે બાજુઓ છે. જો કોઈ સિક્કાની એક જ બાજુ હોય તો એ સિક્કો આપણે ખોટ્ટો સમજીને ફેકી દઈએ છીએ. એ વાપરવા યોગ્ય નથી. એવી જ રીતે સુખ – દુઃખ એ જોડી છે. એકની કિંમત બીજા વગર નથી જ. આ શ્રુષ્ટિને સમતામાં (balance) રાખવા માટે સર્જનહારે બધું જ જોડીમાં બનાવ્યું છે. પર્વત છે તો ખીણ હોય જ છે....ખીણ વગર પર્વતની સુંદરતા નથી.
આપણે ફક્ત આ દ્વન્દ્વોને સમજીને સમતા કેળવી શકીએ એની જ જરૂર છે. કુદરત આપણને જે જોઈએ એ આપવા સમર્થ છે. ફક્ત આપણે એ દિશામાં પ્રમાણિક પ્રયત્નો કરવાના હોય છે. આ પછી આપણે ભાગે જે પણ આવે એનો સમતાથી સ્વીકાર કરવાનો હોય છે. જો આ વાત આપણે ગાંઠે બાંધી લઈએ તો દરેક પરિસ્થિતિ સમ છે. જ્યાં સુખ અને દુઃખની બહુ જ પાતળી ભેદરેખા છે. એ કેવળ એક પરિસ્થિતિ બનીને રહી જશે............ન તો સુખ કે ન તો દુઃખ .............એટલે કે કેવળ સમતા............

મધમાખીનો જીવન સંદેશ....


એક વૃક્ષની ડાળી પર એકવાર એક પક્ષી અને એક મધમાખી અરસ પરસ વાતો કરતાં હતાં.
પક્ષીએ માખીને પ્રશ્ન કર્યો : “તું પુષ્કળ મહેનત કરીને મધપૂડામાં મધ એકઠું કરે છે પરંતુ આ માણસો તારું બનાવેલું બધું મધ ચોરી જાય છે.આથી તને છેતરાઈ જવાનું દર્દ અને મધ ગુમાવવાથી નિરાશા ઉત્પન્ન થતી નથી ? “
મધમાખીએ જવાબ આપ્યો :”બિલકુલ નહીં,કેમ કે ભલે ને માણસો મધ ચોરી જાય, પરંતુ મધ કેમ બનાવવું એની આવડત અને મારી બુદ્ધિની ચોરી કદી કરી નહીં શકે. બસ, મને તો મારી જાતમાં, મારી કાર્ય શક્તિ અને કાબેલીયતમાં પુરો વિશ્વાસ છે.મારે માટે તો એટલું જ પૂરતું છે. “
દરેકે આ મધમાખી પાસેથી એના જેવો હકારાત્મક અભિગમ રાખીને પોતાની જિંદગીનો રાહ કંડારવાનું શીખવું જોઈએ...

Tuesday, July 31, 2012

પપ્પા તમે ....(લેખ)



મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.

પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.

પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.

પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.

મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી……….. હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.

પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.

પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?

પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.

પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.

પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.

આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો…… તો મને પડ્યો રહેવા દેશો નહિ.

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?

ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..

એક ખુબ જ સરસ વાત છે (લેખ).



એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે... પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાનઉપરની શ્રધ્ધા...એની આ વાત છે.



થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટેફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો.થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓમળી રહે...



ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇનેતેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ"બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જથ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."



મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે, "જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધુંહોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણેહાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનુંકામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડનીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારાનસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)



જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હુંઅત્યારે ગાડીવાળાના ઘરમાં હોત.....!!!" કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે?૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...



૨૫,૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટેબચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!

શ્રેષ્ઠતાના ૧૦ નિયમો


૧. અભિમાની નહીં, સ્વાભિમાની બનો
૨.સંયમની ભાષા સૌથી મીઠી
૩.આશા રાખો આકાશને આંબવાની
૪.દરેક માટે સમય કાઢતા શિખો
૫.પ્રેમથી સામે વાળી વ્યક્તિને જીતી લો
૬. ત્યાગ કરતા શિખો. કઇક ગુમાવીને જ કઇક પામશો
૭.સુખ માટે ઝઘડો. નાના ઝઘડા પ્રેમ વધારે છે
૮.કોઇની અપેક્ષાની ઉપેક્ષા કદી ન કરો
૯.કઇક એવું છે જે બદલવું અશક્ય છ તેને સ્વીકારી લો
૧૦. સારા ચારિત્ર્યની પૂંજી બનાવો

લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે


લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે.હજી સુધી એનું ઉત્પાદન કરનાર ફેકટરી શરૂ થઇ નથી.લેબોરેટરીમાં એનું પ્રુથ્થકરણ થઇ શકે છે, સર્જન થઇ શકતું નથી.
નાડીના ધબકારા નસમાં વહેતા લોહીને આભારી છે.
હ્ર્દય નામનો પંપ શરીરમાં લોહીને ફરતું રાખે છે.એ પંપ રજા રાખતો નથી......
લોહીનું ભ્રમણ એટલે જીવન.એ ભ્રમણ અટકી જાય એટ્લે મ્રુત્યુ.

Monday, July 30, 2012

સફળતાના પાંચ સુત્રો



જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં જેટલાં સાધન બતાવ્યાં છે. તેમાં વિદ્ધાનોએ પાંચ સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાનામાં આ પાંચ સાધનોનો સમાવેશ કરી લે છે, તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય, પોતાની ઇચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે.

(૧) પરિશ્રમ અને પુરુષાર્થ :-

જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય.

(૨) આત્મવિશ્વાસ તથા બલિદાન :-

આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે, જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હ્રદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે.

જે આપે છે, તે જ મેળવે છે. કોઈ એવું ઇચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ત્યાગ અને બલિદાન માટે સદાય તત્પર રહે.

(૩) સ્નેહ અને સહાનુભૂતિ :-

સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહિ થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે, તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે. જેથી પ્રતિદાનમાં તે પણ સ્નેહ સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે.

(૪) સાહસ અને નિયમિતતા :-

ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહિ કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે?

(૫) પ્રસન્નતા તથા માનસિક સંતુલન :-

શરીરયાત્રા માટે જીવનની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુ:ખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિતરૂપે નિષ્ફળતાની જનની છે.

લાગણી મારી તમે સમજયા નહિ....



લાગણી મારી તમે સમજયા નહિ દુઃખ છે મને

મને દુઃખ આપ્યા પછી ક્યાં સુખ મળ્યું છે તને?

જાન મારી લઇ લીધી આ બેકરારી આપીને

જાન મારી લીધા પછી ક્યાં જિંદગી મળી છે તને?

માગ્યું છે બસ સુકુન મેં તો સાથ તારો માંગીને

સાથ મારો છુટ્યા પછી શું સુકુન મળ્યું છે તને?

આંસુઓમાં વેદના બસ એક ફક્ત મારી નથી

મારી સાથે વેદનાની તલવાર કાપી રહી છે તને

મોક્ષ થઇ જશે જો જશે તારી યાદમાં જિંદગી

યાદમાં મારી કણસતી જિંદગી મુબારક છે તને...

સુવિચારો.






Sunday, July 29, 2012

‘‘ક્રોધને કાબુમાં રાખો.’’ (લેખ)


જગતના મુખ્ય કુલ ૧૨ (બાર) ધર્મો છે. બધા ધર્મોનો અભ્યાસ કરતાં દરેક મનુષ્યે જીવનમાં ૬ (છ) બાબતોનું પાલન કરવું એવું કહ્યું છે. સત્ય, અહંિસા, તપ, દયા, અચૌર્ય અને અપરિગ્રહ. અને ૬ (છ) વસ્તુથી હમેશાં દરેક મનુષ્યે દૂર રહેવું જોઈએ. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર- આ છ વસ્તુ કરવાની નથી. આપણા સૌનું એથી ઊલટું છે. જેથી નથી કરવાનું એ પહેલાં કરીએ છીએ અને જે કરવાનું કહ્યું છે તે કરતા નથી. એટલે પરિણામ પણ ઊલટું સુખને બદલે દુઃખ આવે છે. આ કાળા માથાના માનવી આગળ તો ધર્મગ્રંથો પણ લાચાર. બિચારો માણસ !!
જે છ વસ્તુ નથી કરવાની એનો ક્રમ પણ યથાર્થ છે. કામ એટલે ઈચ્છા, વાસના. આ જો ન સંતોષાય તો તુરત ક્રોધ આવે છે અને જો ઈચ્છા સંતોષાય તો અભિમાન આવી જાય છે. ઈચ્છા વારંવાર સંતોષાય તો પછી લોભ લાગે છે, લોભ સંતોષાય એટલે મોહ (માયા) લાગે છે અને છેલ્લે મત્સર એટલે ગુમાન આવી જાય છે - પછી માણસનો સંપૂર્ણ વિનાશ થાય છે. કોઈ પાર્કીંગના સ્થળે એક સાયકલ પડયા પછી ટપોટપ બધી સાઈકલો પડવા લાગે છે એમ માણસનું પતન થાય છે. આજે અહીં આપણે એ છ પૈકી ‘‘ક્રોધ’’ - વિશે વિગતે વાત કરીએ.
ક્રોધ એટલે ગુસ્સો. ક્રોધ હંમેશા ઘટના બની જાય પછી પ્રગટ થાય છે. રસોડામાં નવી જ લાગેલી ક્રોકરી ફૂટી જાય પછી જુઓ ! દાળમાં મીઠું વધારે પડ્યું છે. એક સબડકો માર્યો - પછી જુઓ. ક્રોધ મોટા ભાગે ભૂતકાળ આધારિત ઘટના છે. ક્રોધ કરવાથી કોઈને પરમસિદ્ધિ પ્રાપ્ત થયાનું હજુ સુધી તો સાંભળ્યું નથી. કોઈ ઘાસની ગંજીમાં એક તણખો પડતાં જે નાશ થાય છે તેવો નાશ ક્રોધથી માણસની જંિદગીનો થાય છે. જે હમણાં હસતો માણસ રૂપાખો લાગતો હતો તે જ માણસ ક્રોધ કરતાંની સાથે જ શૂપર્ણખા કરતાં ય વધારે કદરૂપો લાગવા માંડે છે.
ક્રોધ કરવાથી શું શું થાય છે એની તમને ખબર છે ? માણસનું સ્વરૂપ વિકૃત થાય છે, ચહેરો અને આંખો લાલઘૂમ થતાં જ લોહીનું પરિભ્રમણ વધી જાય છે, બી.પી. વધતાં પાચનક્રિયા નબળી પડવા લાગે છે. ક્રોધ જેની ઉપર કરવામાં આવે છે તેને નુકસાન થાય છે. ઘરમાં નાનું સ્વરૂપ કજિયા-કંકાસમાં ફેરવાઈ જાય છે, ઘરના લોકો તમને ધિક્કારવા લાગે છે, વારંવાર ગુસ્સો થવાથી ગુસ્સો કરનારનો સ્વભાવ અકારણ ચીડિયો થઈ જાય છે. કાર્યક્ષમતા ઘટવા લાગે છે. તમારો વિકાસ અટકી જાય છે, પરાધીનતાની શરૂઆત થઈ જાય છે. શારીરિક માનસિક રોગો ઘેરી વળે છે. જીવનમાંથી ખુશીઓ ચાલી જાય છે જેવાં અનેક માઠાં પરિણામો ભોગવવાં પડે છે - એ છે ક્રોધ.
ક્રોધ એટલે મધપૂડા ઉપર પથ્થર મારવો. મધપૂડા ઉપર પથ્થર મારવાથી તરત રીઝલ્ટ મળી જાય છે. ક્રોધ હંમેશા ઉત્પાદક સ્થળે જ ઝાઝું નુકસાન પહોંચાડે છે. માણસ ગુસ્સે થઈને પોતાનાથી ઊતરતી કક્ષાની વ્યક્તિને ચડિયાતી કરી મૂકે છે. આ બઘું જાણ્યા પછી દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર થશે. ક્રોઈને કાબૂમાં રાખવાનો કોઈ ઉપાય છે ખરો ? એક ઉપાય નથી, ઘણા ઉપાયો છે. ચાલો, એ પણ જાણી લઈએ.
હવે પછી જ્યારે પણ જેવો ગુસ્સો આવે છે તુરત જ એ સ્થળ છોડી દો. જે માટે અને જેની ઉપર ગુસ્સો ચડ્યો હતો તેની ગેરહાજરીથી ગેસ બંધ કરવાથી જેમ દૂધનો ઊભરો શમી જાય છે તેમ ગુસ્સો ઓગળવા લાગશે. ગુસ્સો આવે તો તુરત મૌન ધારણ કરી લો. ગુસ્સા પછી જે વાક્રબાણ અને સામસામા દલીલો થાય છે તે હવનમાં ઘી હોમવાનું કામ કરે છે. સામેની વ્યક્તિ આગ છે તો તમે પાણી બનો. ગુસ્સો આવે તો જે વાત ચાલે છે તે બદલી નાખો - બીજી વાત શરૂ કરો.
સૌથી સારો ઉપાય તો એ છે કે ગુસ્સો આવે ત્યારે શાંતિથી બેસી જાવ. આપણા ઈષ્ટદેવતાનું સ્મરણ અને રટણ શરૂ કરી દો. ભગવાનનું શરણ તમને બચાવી લેશે. અગાઉ ગુસ્સો કર્યો હતો ત્યારે દુર્વાસાનું રૂપ ધારણ કરી તમે જે રમખાણ કરી ઘરમાં મોટું નુકસાન કરેલું તે બઘું યાદ કરો. પતિએ પત્ની ઉપર કે પત્નીએ પતિ ઉપર કરેલા ગુસ્સાથી થયેલા અબોલા તોડવા હજાર રૂપિયાની સાડી લાવેલા કે હોટલ-રેસ્ટોરન્ટમાં જવું પડેલું એ બઘુ યાદ કરો. આ બધો પશ્યાતાપ કેટલામાં પડેલો એનું ભાન થતાં જ સ્વીચ ઓફ કરતાં કરંટનો ઝટકો શમી જાય એમ ગુસ્સો વગર ક્રોધ શમી જશે. શું કહ્યું ? સમજદારકો ઈશારા કાફી હૈ !!
ગુસ્સો આવે ત્યારે કોઈપણ ઉત્તેજક, માદક પીણાં કે કેફી દ્રવ્યોનું સેવન ના કરો. એકસીલેટર દેતાં જ પૂરપાટ દોડતી ગાડી આપોઆપ ધીમે પડવા લાગે, તેમ ગુસ્સાનો પારો ઊતરવા લાગશે. કોઈ મનગમતો શોખ કે હોબી હોય તેમાં કામ કરવા લાગી જાવ. કેટલીક હદ સુધી તો ધીરજ રાખતાં શીખી જાવ. પત્નીથી કોઈવાર ૧૫૦૦ (પંદરસો) રૂપિયાનું કોઈ કાચનું સાધન પડી જવાથી તૂટી જાય તો તરત રસોડામાં દોડી જાવ. શાંતિથી કહો ઃ શું થયું ? કાચનું મોધું બાઉલ તૂટી ગયું.. ભલે તૂટી ગયું.. તને વાગ્યું તો નથી ને ડાર્લંિગ ? બીજું લાવીશું, શું તારા કરતાં મારા માટે બાઉલ વધારે કંિમતી છે- ગાંડી !! ચાલ, ચાલ, લાવ પેલી સૂપડી ને સાવરણી તુ બેસ ઘડીક વાર અબઘડી ટુકડા ભરી બઘું સાફ હું કરી લઉં છું. ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલી અને સારા સંસ્કાર લઈને આવેલી ગૃહિણી શું તમે એમ માનો છો કે એ તમને બઘું સારૂ કરવા દેશે ? એ તરત જ કહેશે ઃ તમે ય શું ગાંડા થયા છો કે શું ? હું હોઉંને મારી હાજરીમાં તમે આ બઘું કરશો ? લાજો હવે લાજો. નથી સારા લાગતા. આઘા ખસો હવે.. લાવો સૂપડીને સાવરણી.. આયા મોટા સારૂ કરવાવાળા આ નજાકતના શબ્દો અને લહેંકો આઘા ખસવાનો બદલે એકમેકના આગોશમાં પતિ-પત્ની ક્યારે લપેટાયાં એની યે ખબર ના પડી.
કાચના ટુકડા અગાધ પ્રેમના નિમિત્ત બની ગયા. ફેકેલા પથ્થરમાંથી પગથિયું બની ગયું એ આનું નામ. ચમત્કારો આજે પણ બને છે. પછી એક સંવાદ સંભળાય છે. અઠવાડિયે એકાદ વાર તારે આવું વાસણ ફોડતા રહેવું... જાવ ને હવે તમે ય આવું શું કરો છો એવું કહેતી પ્રેમની મીઠી નજર આગળ આખી સૃષ્ટિની સંપત્તિ ય ઓછી પડે અનુભવ કરવા જેવો ખરો ! ફાયદામાં રહેશો.
પતિ-પત્નીના ગુસ્સાની વાત નીકળી છે તો સંત તુકારામના જીવનમાં બનેલો એક સાચો પ્રસંગ લખવાની લાલચ રોકી શકતો નથી. સંત તુકારામ - ભગવાનના માણસ. એ ભલાને ભગવાનનું નામ ભલું ઃ પણ એમની પત્ની બહુ આકરા પાણીએ, બહુ ખતરનાક ભક્તિ તો સારી વસ્તુ છે પણ સાંજ પડે એટલે પેટ તો ભાડું માગે ને ! તુકારામના ઘરમાં રોજ હંલ્લાં કુસ્તી કરે. એક દિવસ પત્નીનો મિજાજ ગયો. પત્નિ તાડૂકી ઃ કહું છું, સાંભળો છો ? આમ બેસી રહેવાથી દહાડો નહિ વળે ! ભજનથી કંઈ પેટ ભરાતું નથી. જાવ - કમાવા જાવ, કંઈક મજુરી કરો... શું કહ્યું ?
સંત તુકારામને પણ થયું કે ઘરવાળીની વાત તો વાજબી છે. ચાલો મજૂરીએ. શેરડીની સીઝન ચાલે. ખેતરે ખેતરે શેરડી કપાય. એક શેઠના ખેતરમાં શેરડી કાપવાનું કામ મળી ગયું. શેઠે પણ સંત જાણી મજૂરી કરતાંય વધારે મોટો શેરડીનો ભારો સંતના માથે ચડાવી દીધો. ખુશ થતા સંત ઘર તરફ આવવા રવાના થયા. અહીં ઘેર પત્નીને થયું હાશ આજ તો એ કમાવા ગયા છે આવશે.. લાયસીનાં આંધણ મૂકશું... એય ને ઘણા દિવસે આજે પેટ ભરીને જમીશું. આમ તો એ ય કંઈ એમ સાવ જાવ એવા તો નથી. કહીએ એટલું કરે તો ખરા !!
આ તરફ તુકારામ શેરડીનો મોટો ભારો લઈને ઘરના રસ્તા તરફ તો વળ્યા પણ છોકરાંને બહુ મજા પડી ગઈ. સાંઠા ખેંચતા જાયને ખાતા જાય. તુકારામ જુએ પણ આ તો સંત... ‘‘રામકી ચીડિયા રમકા ખેત ખાલો ચીડિયાં ભરભર પેટ’’ જેવી ઘાટ થયો. પતિની રાહ જોઈને ઉભેલી પત્નીએ આ તમાશો જોઈ લીધો. મજૂરીના સાંઠા ખાઈ જાય છે ને કશું બોલતા ય નથી. આવવા દો ઘેર... ખેર નથી, આજે એમની !!
તુકારામ પોતાના ઘરના આંગણે પધાર્યા ત્યારે આખા ભારામાંથી ફક્ત એક જ સાંઠો બચેલો તે પત્નીના હાથમાં આપી તુકારામ બોલ્યા કે લે આજની આ કમાણી.. લાપસીનાં આંધણ મૂકવાનાં સપનાં રોળાઈ જતાં લાગતાં પત્ની વીફરી. ચંડિકાનું સ્વરૂપ ધારણ કર્યું. એ જે એક સાંઠો અને તુકારામનો બરડો. દે ધનાધન. મારી મારીને પત્ની ય થાકી ગઈ અને બેસી ગઈ. શેરડીના સાંઠાના ભાગીને બે ટુકડા થઈ ગયા. બરડો પંપાળતાં પંપાળતાં તુકારામ ઊભા થયા. પેલા બે ટુકડા હાથમાં લીધા. પત્ની પાસે જઈ કહેવા લાગ્યા ઃ- મને તો પહેલેથી જ ખબર હતી કે તું એકલી નહીં ખાય.. લે.. આ એક તારો અને આ એક સાંઠાનો ટુકડો મારો.
બોલો.. હવે આ માણસને કોણ ગુસ્સે કરી શકે !! પત્નીએ સાંઠો હાથમાં લીધો અને બોલી ઃ નાથ ! મને માફ કરો.. માફ કરો મારી ભલ થઈ ગઈ.. આ શેરડીના સાંઠાની મીઠાશ આગળ તો લાપસીની શી વિસાત !! જીવનમાં મીઠાશ જ માણવી છે ને ?
તો આજથી જ ગુસ્સો કરવાનું બંધ.

"ફુલ નહિ પાંખડી બની રહેવું છે,
પાણી નહિ ટીપું બની રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ હોઠો થી સ્મિત બની રહેવું છે."

ઈશ્વરનું અસ્તિત્વ (લેખ)


"એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો.પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું.

એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો "અરે પિતાજી! આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું?" પિતાજીએ કહ્યું "કોઈ એ નહીં. આપોઆપ જ બની ગયું." તો યુવક ઘણી આશ્ચર્ય ભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમઝ ન આવી હતી.

એણે પિતાજીને કહ્યું "એ સંભવ જ નથી કે આપોઆપ કઈ થઈ શકે." પિતાજીએ કહ્યું "જો દીકરા! આ પીંછી ઉપર ઉઠી, રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગાએ આવી ગઈ." યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે "પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી." આ સાંભળી પિતાજીએ કહ્યું - "સાબાશ દીકરા! આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું, અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું?"

યુવકને પોતાની ભૂલ સમઝાય ગઈ, અને જગત્સૃષ્ટા પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધા યુક્ત થઈ ગયો. આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો.

કથામાંથી શિક્ષા -
પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાન રૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.

જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે.

- સ્વામિની અમિતાનંદ
વેદાન્ત આશ્રમ, ઇન્દૌર

Wednesday, July 11, 2012

પ્રથમ પાનું




અલક મલક ની વાતો માં આપનુ સ્વાગત છે...!!!






અલક મલક ની વાતો પેજ નો મુખ્ય આશય આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ ના ઉત્તમ વિચારો બચાવવા માટે નો છે...ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ ના ઉત્તમ વિચારો બચાવવા હોય તો તે બોલાતા રહેવા જોઇએ, લખાતા રહેવા જોઇએ...

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. ગુગલ , બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે.આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો સત્વરે જાણ કરવા વિનંતી અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે ગુજરાતી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.