[1] લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ સંબંધ જેમાં ઉભયની સ્વતંત્રતા સમાન હોય છે;પરસ્પરની પરાધીનતા હોય છે,અન્યોન્ય પ્રત્યેનું કર્તવ્યપાલન હોય છે
[2] સાચી ગૃહિણી જ્યાં જાય છે ત્યાં સદાય તેની આસપાસ ગૃહ રચાઈ જાય છે. એના મસ્તક ઉપર ખુલ્લું આકાશ જ ભલે હોય,પણ જ્યાં ક્યાંય એ હશે ત્યાં ઘર હોવાનું જ.
[3] હે બાળકો, સહુથી મહામૂલી એક સોગાદ હજી તમારી પાસે રહેલી છે ત્યાં જ એનો જેટલો લેવાય તેટલો લહાવો લઈ લેજો –એ છે પ્રેમાળ માતા. મોટાં થશો ત્યારે તમને મિત્રો મળશે –માયાળુ, મહોબતીલા ભેરુઓ મળશે –પણ એકમાત્ર મા સિવાય બીજું કોઈજે આપી શકતું નથી એવી, શબ્દોથી અવ્યક્ત મમતા ને શીતળતા તો ફરી ક્યારેય તમને સાંપડવાની નથી.
[4] યૌવન એ જિંદગીનો કોઈ કાળ નથી; એ ચિત્તની એક અવસ્થા છે.
[5] દીકરીઓને આપણે ચાહીએ છીએ, એ જેવી છે તેને માટે;દીકરાઓને ચાહીએ છીએ તે જેવા બનવાના છે એને માટે.
[6] જીવનમાં બીજી કેટલીયે સુંદર સુંદર વસ્તુઓ થોકબંધ મળે છે : આટલાં બધાં ગુલાબો, તારાઓ, સૂર્યાસ્તો, મેઘઘનુષો; પણ દુનિયા આખીમાં માતા તો એક જ હોય છે.
[7] ઘર એટલે – આપણા પગ જેનાથી વિખુટા પડી શકે,પણ આપણું હૈયું કદી નહિ.
[8] હે ભાગ્યદેવતા, એટલું વરદાન માગું છું કે મારી વાંછના રહે – સાંત્વન પામવાની નહિ, પણ અન્યને આપવાની;મારી વાત સમજાવવાની નહિ, પણ કોઈની સમજવાની; બીજાનો પ્રેમ પામવાની નહિ, પણ પ્રેમ આપવાની. કારણ કે આપીએ છીએ, ત્યારે જ અમે મેળવીએ છીએ, ક્ષમા કરીએ છીએ, ત્યારે જ ક્ષમા પામીએ છીએ, અને મૃત્યુ પામીએ છીએ ત્યારે જ અમૃત જીવનમાં જન્મ પામીએ છીએ.
[9] જેની સાથે હાસ્ય-કિલ્લોલ કરેલાં હોય, તેને આપણે કદાચ ભૂલી જઈએ; પણ જેની સાથે આંસુ સારેલાં હોય, તેને કદી નહિ.
[10] સફળ લગ્ન એ એક એવી ઈમારત છે, જેને રોજેરોજ નવેસર ચણવી પડે છે.
[11] ચાહે તેવા પુરુષમાંથી પણ સારો પતિ નિપજાવવાની કલા સુલક્ષણા નારીને વરેલી હોય છે.
[12] દુલારા દાંપત્ય માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –હંમેશા એની એ જ વ્યક્તિ સાથે.
No comments:
Post a Comment